શાળા એ કોઈ ઈંટો કે પથ્થરોનું બનેલું અને થોડું રાચરચીલું ધરાવતું મકાન માત્ર નથી. એ તો એનો ભૌતિક બાંધો થયો. શાળા એ તો જીવંત ધબકાર છે. મનુષ્યને સભ્ય સમાજમાં જીવવાપાત્ર બનાવવામાં અને વ્યક્તિનાં જીવન ઘડતરથી માંડી રાષ્ટ્રનાં નવનિર્માણમાં શાળાનું સ્થાન મોખરે છે. ભારતવર્ષનાં યુગો-યુગોનાં ઈતિહાસમાં શિક્ષણનો મહિમા વિશેષ રહ્યો છે. જ્ઞાન અર્જિત કરવાની પરંપરામાં આરુણિ, એકલવ્ય, અર્જુન, કર્ણ જેવા મહાન શિષ્યો થઈ ગયા. સામે પક્ષે ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ પરશુરામ, ગુરુ વશિષ્ઠ, મહર્વિષિ વિશ્વામિત્ર, મહર્ષિ વાલ્મિકી, ચાણક્ય જેવા ગુરુશ્રેષ્ઠ થઈ ગયા. ભારત રાષ્ટ્રનું નિર્માણ આ બધા મહાન ગુરુ શિષ્યોનાં પ્રતાપે થયેલું છે. અહીં આશ્રમો અને ગુરુકુળોમાં જ્ઞાનની સરવાણી વહેતી.
સમય બદલાયો. ઘણા વિપરિત પરિબળોને પરિણામે આજે એ ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાથી આપણે સૌ ખૂબ દૂર થઈ ગયા. ચૉક-ટૉક થી માત્ર શિક્ષક કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થાઓ પણ ખૂબ ચાલી. પરંતુ સમય બદલાયો છે. આવશ્યકતા છે એ બીબાઢાળ, ગોખણપટ્ટી વાળા શિક્ષણને સ્થાને નવતર, સમજણને પ્રાધાન્ય આપતા શિક્ષણની. નવી શિક્ષણ પોલિસી આવી છે, જેમાં શિક્ષણની અસરકારકતા અને ઉપયોગિતા પર વિશેષ ધ્યાન અપાયું છે.
વિદ્યાર્થીનું જીવન ઘડતર ઘણુખરુ શાળામાંથી થાય છે. શાળા એ વિદ્યાર્થીઓનું બીજું ઘર છે. બાળક આવતી કાલનો યુવાન બનશે અને આ રાષ્ટ્રની ધુરા તેમનાં હાથમાં હશે. આથી આવશ્યક છે તેમને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની, સંસ્કાર આપવાની. જામનગર જિલ્લાથી ૨૨ કિમી દૂર આવેલા નાનકડા શાપર ગામમાં આવેલી શ્રી શાપર કુમાર શાળામાં આ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે. વિક્રમ સંવત ૧૯૪૮, શ્રાવણ માસનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે તા. ૧૩, ઑગસ્ટ, ૧૮૯૨, શનિવાર નાં રોજ શાપર ગામમાં શરૂ થયેલી આ શાળા આજે ૧૩૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સમય સાથે શાળાનું સ્વરૂપ બદલાયું. નળિયાવાળા મકાનથી લઈને આજે બે માળવાળી, આઠ ઓરડાઓ ધરાવતી, કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ અને વિશાળ ક્રિડાંગણ ધરાવતી શાળા સૂધીની યાત્રા આ ગાળામાં કરી છે.
આજે અમારી શાળાનાં સ્થાપના દિવસ નિમિત્તે શાળામાં નવી કમ્પ્યૂટર લેબ શરૂ થવા જઈ રહી છે. જેનાંથી દરેક બાળક આજનાં યુગ સાથે કદમ મિલાવી કમ્પ્યૂટરનું જ્ઞાન પણ મેળવશે. આ ઉપરાંત આજનાં દિવસથી શાળા પોતાનો બ્લોગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં શિક્ષણ સંબંધિત વીડિયો કે pdf ફાઈલ અને બાળકોની સિદ્ધિ અને વિશેષતાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે.
બ્લોગનું નામ विद्यादानम् શા માટે ?
અમારો પ્રથમ અને અંતિમ ઉદ્દેશ્ય જ્ઞાનનું દાન કરવાનો છે. જ્ઞાનનું દાન એ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. સુવર્ણના દાન, પશુઓના દાન કે સંપતિનાં દાનથી આપનાર પાસે તે ઘટે છે. પરંતુ વિદ્યાનું દાન આપનાર અને લેનાર બંને પક્ષે વધે છે. સંસ્કૃત ભાષા જ્ઞાનની ગંગા છે. ભારતવર્ષનાં વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાતોએ પોતાની કૃતિઓ કે ગ્રંથો સંસ્કૃતમાં જ રચેલા હતા. આથી તેઓનાં મહાન વારસાને આગળ ધપાવવાનાં હેતુસર અમારા બ્લોગનું નામ विद्यादानम् રાખવામાં આવેલ છે.
માતા સરસ્વતીનાં આશિષ સાથે અહીં વિરામ લઈએ છીએ.
જય ભારતવર્ષ 🇮🇳






No comments:
Post a Comment